![India will help Sri Lankas dairy sector to become self-reliant from an import-dependent sector](https://gujarati.economictimes.com/thumb/msid-98755148,imgsize-28342,width-380,height-214,resizemode-75/india-will-help-sri-lankas-dairy-sector-to-become-self-reliant-from-an-import-dependent-sector-98755148.jpg)
શ્રીલંકાએ ડેરી ઉદ્યોગ મામલે આત્મનિર્ભર બનવા સુધીની સફર ખેડવા માટે ઉપલબ્ધ સંસાધનોને સંરચિત અને કેન્દ્રીત હસ્તક્ષેપોની સાથે ઉત્પાદક સંસાધનો તરીકે અસરકારક રીતે ઉપયોગમાં લેવા જરૂરી છે. હસ્તક્ષેપ માટેના મહત્ત્વના ક્ષેત્રો પર ભાર મૂકતી વખતે તેમણે જણાવ્યું હતું કે, ભારતના અનુભવો અને તેણે પ્રાપ્ત કરેલી શીખ ઇચ્છિત પરિણામો તરફ દોરી જનારા પ્રોજેક્ટ્સના અમલીકરણને ઝડપી બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.
શ્રીલંકાના માનનીય રાષ્ટ્રપ્રમુખ રાનિલ વિક્રમાસિંઘેએ ભારતીય ડેરી ઉદ્યોગ સાથેના હસ્તક્ષેપોની પ્રક્રિયાઓ વહેલી તકે પૂરી કરવા અપીલ કરી છે જેથી તેનો લાભ પશુપાલકો અને વપરાશકર્તાઓ બંને સુધી પહોંચે તથા શ્રીલંકાની સરકાર તરફથી સમર્થન પૂરું પાડવાની પણ ખાતરી આપી હતી.
આ એક્શન પ્લાન ઉત્પાદકતા વધારવા પર તેમજ દૂધની પ્રાપ્તિ, પ્રોસેસિંગ અને માર્કેટિંગમાં કાર્યક્ષમતા લાવવા પર કેન્દ્રીત છે, જેમાં ભારત અને શ્રીલંકાની સંસ્થાઓ વચ્ચે સંયુક્ત ઉદ્યમોની રચના કરવાનો પણ સમાવેશ થાય છે.
એનડીડીબીના ચેરમેન અને એમડી મીનેશ શાહ, જીસીએમએમએફના ચેરમેન શામળભાઈ પટેલ, જીસીએમએમએફના એમડી જયેન મહેતા, આઇડીએમસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રકાશ મહેશ્વરી તથા એનડીડીબીના અન્ય અધિકારીઓએ શ્રીલંકા ખાતેના ભારતના માનનીય હાઈ કમિશનર ગોપાલ બાગલેની હાજરીમાં શ્રીલંકાના માનનીય રાષ્ટ્રપ્રમુખ રાનિલ વિક્રમાસિંઘ સમક્ષ શ્રીલંકામાં ડેરી ક્ષેત્રનો વિકાસ કરવા માટેનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો.
આ ઉપરાંત, આ બેઠકમાં શ્રીલંકાના માનનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ચંદ્રિકા કુમારાતુંગા, શ્રીલંકાના માનનીય કૃષિ મંત્રી મહિન્દા અમારાવીરા, શ્રીલંકાના માનનીય રાષ્ટ્રપ્રમુખના સચિવ ઇએમએસબી એકનાયકે તથા શ્રીલંકાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.